લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક આંદોલન વચ્ચે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ફરી સક્રિય થયા છે. લેહમાં લદ્દાખના પ્રતિનિધિઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વાંગચુક પણ હાજર રહ્યા હતા.

કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA), લેહ એપેક્સ બોડી (LAB) અને અન્ય પ્રતિનિધિઓએ બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર સમક્ષ લદ્દાખ સાથે જોડાયેલા અનેક મુદ્દા રજૂ કર્યા. પ્રતિનિધિમંડળે કેટલીક માંગણીઓને ‘મહત્વપૂર્ણ અને બિન-વાટાઘાટોપાત્ર’ ગણાવી છે.

ચૂંટાયેલી વિધાનસભા માટે સૌથી મોટી માંગ

લદ્દાખના પ્રતિનિધિઓએ કેન્દ્ર સમક્ષ સીધી રીતે ચૂંટાયેલી અને બંધારણીય રીતે સશક્ત કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની વિધાનસભાની માંગ કરી છે.

તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્તરના મોટાભાગના વહીવટી અને નીતિગત નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓના લોકશાહી નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ સાથે વિધાનસભાને નાણાકીય બાબતોમાં પણ અસરકારક સત્તા આપવાની માંગ કરવામાં આવી છે.

બજેટ અને નાણાકીય સત્તા અંગે પણ માગ

પ્રતિનિધિઓએ લદ્દાખ માટે એવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે જેમાં ચૂંટાયેલી સંસ્થાને કરવેરા, બજેટ, સરકારી ખર્ચ, ઉધાર અને જાહેર ભંડોળ જેવા મુદ્દાઓ પર બંધારણીય સુરક્ષા સાથે સત્તા મળે.

આ ઉપરાંત લદ્દાખ માટે બંધારણીય રીતે સુરક્ષિત Consolidated Fund અને Contingency Fundની રચનાની માંગ પણ રજૂ કરવામાં આવી છે.

અલગ PSC અને વહીવટી-પોલીસ સેવાઓની માંગ

લદ્દાખ માટે અલગ પબ્લિક સર્વિસ કમિશન બનાવવાની માંગ પણ બેઠકમાં રજૂ થઈ હતી. સાથે જ લદ્દાખ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને લદ્દાખ પોલીસ સર્વિસ સહિત લદ્દાખની જરૂરિયાતોને અનુરૂપ અલગ કેડર બનાવવાની માગણી કરવામાં આવી છે.

પ્રતિનિધિઓનું કહેવું છે કે સ્થાનિક વહીવટમાં લદ્દાખના લોકોની યોગ્ય ભાગીદારી અને પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે આવી વ્યવસ્થા જરૂરી છે.

24 સપ્ટેમ્બર, 2025ની ઘટનાને લઈને ન્યાયની માંગ

બેઠકમાં 24 સપ્ટેમ્બર, 2025ના પોલીસ ગોળીબાર સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગોળીબાર અને લાઠીચાર્જથી અસરગ્રસ્ત લોકો તથા ઘાયલોને યોગ્ય સહાય આપવાની માંગ પણ પ્રતિનિધિઓએ કરી છે. સંબંધિત કેસો પાછા ખેંચવા માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ઘટનાની આગામી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિઓએ સંબંધિત કેસો બિનશરતી પાછા ખેંચવાની માંગને પણ મહત્વ આપી છે.

બંધારણીય સુરક્ષા ન મળે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાની માંગ

લદ્દાખના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે પ્રદેશના લોકશાહી, રાજકીય અને બંધારણીય અધિકારોનું રક્ષણ તેમની મુખ્ય પ્રાથમિકતા છે.

તેમણે એવી વચગાળાની વ્યવસ્થાની માંગ કરી છે કે જ્યાં સુધી લદ્દાખ માટે યોગ્ય બંધારણીય સુરક્ષા નક્કી ન થાય અને ચૂંટાયેલી યુટી સ્તરની વિધાનસભા સંપૂર્ણ રીતે કાર્યરત ન બને ત્યાં સુધી પ્રદેશના આર્થિક, પ્રાદેશિક અને વસ્તી સંબંધિત હિતોનું રક્ષણ થાય.

વેપાર માટે LRC ફરજિયાત કરવાની માગ

લદ્દાખમાં વ્યવસાય અને વેપાર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે પણ પ્રતિનિધિઓએ મહત્વની માંગ કરી છે. તેમના અનુસાર, બિઝનેસ રજિસ્ટ્રેશન, વેપારી પ્રવૃત્તિઓની સ્થાપના તથા ટ્રેડ લાઇસન્સ મેળવવા અથવા રિન્યૂ કરવા માટે  લદ્દાખ રેસિડેન્ટ સર્ટિફિકેટ (LRC) ને જરૂરી બનાવવું જોઈએ.

આ સાથે લદ્દાખ માટે અલગ ST પ્રમાણપત્રની વ્યવસ્થા કરવાની અને અનુસૂચિત જનજાતિના આરક્ષણ તથા અન્ય સુરક્ષાત્મક લાભો માટે તેને આધાર બનાવવાની માંગ પણ રજૂ કરવામાં આવી છે.

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા?

લેહમાં યોજાયેલી આ બેઠકમાં લદ્દાખના સાંસદ મોહમ્મદ હનીફા જાન, KDAના સહ-અધ્યક્ષ સજ્જાદ કારગિલ, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક, LABના સહ-અધ્યક્ષ ચેરિંગ દોરજય સહિત અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

લદ્દાખના સંગઠનો અને ગૃહ મંત્રાલય વચ્ચે અગાઉ 22 મેના રોજ નવી દિલ્હીમાં પણ ઔપચારિક બેઠક યોજાઈ હતી. હવે લદ્દાખના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલી આ માંગણીઓ પર કેન્દ્ર સરકાર તરફથી આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર નજર રહેશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો