કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ગુજરાત સરકારે રાજ્યના વધુ શહેરમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે 20ની જગ્યાએ હવે કુલ 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં આજે સવારે મળેલી બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વધુ નિયમો કડક કરવામાટે ના નિર્ણયો લેવામાં આવ્યા છે
અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 20 શહેરો સહિત હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તથા આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.આ નિયંત્રણ તા. 28 મી એપ્રિલ બુધવારથી તા. 5 મે બુધવાર સુધી અમલી રહેશે.
29 શહેરોમાં શું રહેશે શરૂ
આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.તથા તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
શું રહેશે બંધ
આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
સમગ્ર રાજયમાટે પણ લેવાયા નિર્ણય
સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.તથા સમગ્ર ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.આઉપરાંત પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ % ક્ષમતા સાથે ચાલુ રહેશે.રાજયભરમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.