નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાત રાજ્યનો ઇતિહાસ ખૂબ સંઘર્ષ અને ગૌરવવંતો છે. સંઘર્ષની આ વાત છે 66 વર્ષ પહેલાની જ્યારે ગુજરાત રાજ્ય ન હતું….1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી લોકોને અલગ ગુજરાતની આશાનું એક તોરણ બંધાયું. સમય જતાં ધીરે ધીરે આ વાતને મોટું સ્વરૂપ મળ્યું અને અનેક ઉતાર ચડાવ વચ્ચે અનેક વિવાદ અને મહા ગુજરાત આંદોલન બાદ આપણે બન્યા ગૌરવવંતા ગુજરાતી.
આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.
ગુજરાત હતું બોમ્બે રાજ્યનો ભાગ
મહારાષ્ટ્ર અને ગુજરાતનું કોઈ અલગ અસ્તિત્વ ન હતું. આ બોમ્બે રાજ્યનો ભાગ હતા. તે સમયે મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા બોમ્બે રાજ્યમાં સૌથી વધુ હતી. બાદમાં આ ભાષાના આધારે અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠવા લાગી. ગુજરાતીઓ પોતાનું અલગ રાજ્ય ઇચ્છતા હતા, જ્યારે મરાઠીઓ પણ અલગ રાજ્યની માંગ કરવા લાગ્યા હતા. વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી લોકોને અલગ ગુજરાત રાજ્ય માટેનું બીજ રોપાયું. જે ‘મહાગુજરાત આંદોલન’ ના સ્વરૂપે આગળ વધ્યું. મ જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા. અનેક લોકોએ જીવનું બલિદાન પણ આપ્યું અને મહાસંઘર્ષ બાદ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.
ગુજરાતના પાયામાં આંદોલન
ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મુહિમ શરુ કરી હતી અને ત્યારબાદ ખૂબ જ ઓછા સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો.
વિદ્યાર્થીઓ પર થયો હતો ગોળીબાર
6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું. હડતાળના એલાનના બે દિવસ બાદ 8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. અચાનક ગોળીબાર કરાયો હતો અને જેમાં 4 વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે હિંસા ભડકયા બાદ 10 ઓગસ્ટે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું.
મહાગુજરાત જનતા પરિષદની રચના
મહાગુજરાત ચળવળથી ગુજરાત રાજ્ય માટે જંગની શરૂઆત થઇ ચુકી હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા.જે બાદ ખાંભી સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યુ. અનેક સમસ્યાઓ આવી અને આ વચ્ચે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. જેની કમાન ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવી.
સતત ચાર વર્ષ ચાલી ચળવળ
મહાગુજરાત ચળવળ ચાર વર્ષ સુધી સતત ચાલુ રહ્યું. જેમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું એક સભા અમદાવાદમાં હતી. જ્યારે બીજી તરફ ઇન્દુલાલ યાજ્ઞિકની પણ આ જ દિવસે સભા હતી. જેમાં પ્રધાનમંત્રીની સભા કરતાં ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં વધુ લોકો હતા. મહાગુજરાત જનતા પરિષદે 1957ની લોકસભાની ચૂંટણી ઝંપલાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ઈન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો ચૂંટાયાં હતા. જે બાદ મહાગુજરાત આંદોલન વેગવંતુ બનતું રહ્યું. અને આ આંદોલનને 1લી મે 1960નાં રોજ સફળતા મળી.

1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્ય બન્યું અને આપણે બન્યા ગૌરવવંતા ગુજરાતી. આ સાથે પૂ. રવિશંકર મહારાજના હસ્તે 1 મે 1960ના રોજ મહારાજે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનું તોરણ બાંધવામાં આવ્યું.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







