નવરાત્રીને લઈ રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ગરબાનું ધામધૂમથી આયોજન થવાનું છે. નવરાત્રિના તહેવારને લઈને ગરબા આયોજકો દ્વારા પણ જુદા જુદા સ્થળોએ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં પણ 50 જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે, ત્યારે પોલીસ દ્વારા આયોજકો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમનું ખેલૈયાઑ અને આયોજકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી 12 મુદ્દાની ગાઈડલાઈનમાં ગરબાની પરમિશન માટે ફાયરસેફ્ટી, સરકારી ઓથોરાઈઝ્ડ ઈલેક્ટિશિયન, કલાકારોનું સંમતિ પત્ર, ખેલૈયાઓ માટે વીમા પોલિસી, સીસીટીવી કેમેરા, પાર્કિંગની સુવિધા તથા મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની માહિતી પણ ફરજિયાત આપવાની રહેશે.

લેવાશે આકરા પગલાં
જો નિયમોનો ભંગ કરાશે તો ગરબાની મંજૂરી રદ કરાશે સાથે જ પાર્કિંગનું સ્થાન પર પાર્ટી પ્લોટથી 100 મીટરના અંતરે રાખવાનું રહેશે. રાજ્યમાં યુવાનોમાં ગરબા રમતા હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. એવામાં આ વખતે ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ પણ પાર્ટી પ્લોટ પર રાખવાનો નિર્ણય લીધો છે. જેથી ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.