હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પલટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે 15 બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

મહેન્દ્રગઢના કનિના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલની બસ ગુરુવારે સવારે બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી. ઉનાણી ગામ પાસે ઓવરટેક કરતી વખતે સ્કૂલ બસ અચાનક પલટી ગઈ હતી.

સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હતો!
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. લોકોનું કહેવું છે કે બસ ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને સંતુલન ગુમાવ્યા બાદ તે ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો અને અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે તપાસ માટે કહ્યું
પોલીસને મળેલી માહિતી મુજબ બસમાં કુલ 20-25 બાળકો હતા. ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેસની તપાસ હજુ ચાલી રહી છે.ચાલક ઊંઘતો હતો કે નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા જાહેર કરી ન હતી.