અમદાવાદ:રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે દારૂના નશામાં હવે અકસ્માતના કિસ્સામાં સતત વધારો થયો છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માત બાદ પોલીસ તંત્ર જાગ્યુ છે. અમદાવાદ શહેરના માણેકબાગ નજીક ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. જેમાં જાનહાની થઈ ન હતી. ત્યારે આ ઘટનાને લઈને ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી? અને આ તો ફક્ત અમદાવાદના એક વિસ્તારની વાત છે, તો આખા ગુજરાતમાં કેટલો દારૂ વેચાતો હશે?
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે. જેગુઆર ગાડીનો અકસ્માત થયો એ મામલો શાંત નથી પડ્યો ત્યાં તો, BMW વાળાએ વધુ એક અકસ્માત કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે નબીરો દારૂ પીધેલી હાલતમાં હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી તો તેમાં 200 થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયા હતા. પણ કહેવાય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી? અને આ તો ફક્ત અમદાવાદના એક વિસ્તારની વાત છે, તો આખા ગુજરાતમાં કેટલો દારૂ વેચાતો હશે? સવાલ એ થાય છે કે સરકાર શું કરી રહી છે?
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી
સરકાર દારૂબંધીના કડક અમલની વાતો કરી રહી છે, તો મારો સવાલ એ છે કે આ નબીરાઓ દારૂ પીને બેફામ અકસ્માતો કરી રહ્યા છે તો એ દારૂ ક્યાંથી આવી રહ્યો છે? શું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ રોડ પર કચડાઈ જવા માટે જન્મ લીધો છે? આ ખૂબ જ દુઃખ ભરી વાત છે અને આ સ્થિતિને સુધારવાની જરૂરત છે. અમારી માંગ છે કે મુખ્યમંત્રી પોતે આ બાબતમાં રસ લે, કારણકે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે.