jammu kashmir:સેનાના વાહન પર આતંકી હુમલો, ચાર જવાન શહીદ…

જમ્મુના કઠુઆમાં સેનાના જવાનો પર આતંકી હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. આ હુમલાના સમાચાર સોમવારે સાંજે સામે આવ્યા હતા. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું. આ પહેલા આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી. મોડી સાંજે સમાચાર મળ્યા કે આતંકી હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે. આ ઘટનામાં ચાર જવાનો પણ ઘાયલ થયા છે. જેની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં બે જવાનો ગંભીર રીતે ઘાયલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહાડી પર છુપાયેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો અને સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે. આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર સતત આવી રહ્યા છે.

રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલોઃ

એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય આર્મી કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

કુલગામમાં ગોળીબાર થયો

બીજી તરફ આ હુમલાના થોડા કલાકો બાદ જ ચીનીગામ ગામમાં ફાયરિંગની બીજી ઘટના બની હતી. સેનાને લશ્કર જૂથ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળો તે વિસ્તારમાં પહોંચ્યા હતા. બંને તરફથી ગોળીબાર થયો હતો. સેનાને કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

2 મહિના પહેલા પણ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરના મામલા સામે આવ્યા હતા. તાજેતરમાં 6 મેના રોજ કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એલઇટીના છુપાયેલા ઠેકાણાની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે, સંયુક્ત દળો આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સુરક્ષાદળોએ પણ જવાબ આપ્યો હતો.

આ પહેલા 4 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો . સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હુમલામાં IAFનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો સાંજે થયો જ્યારે એરફોર્સનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો.