ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં જેટગતિએ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના સામે લડવા માટે સરકારે પહેલા 60 વર્ષ થી વધુ ઉમર ના લોકોને ત્યાર બાદ 45થી વધારે વયના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજે તારીખ 19 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં, દેશમાં 18 વર્ષની વયથી વધુના લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશનનો કાર્યકર્મ આગામી 1 મેથી શરુ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે. આ સાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે વેક્સિન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્રને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.