વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમદાવાદમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 8,000 કરોડ રૂપિયાથી વધુ છે. PM મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને તે મકાનો સોંપ્યા, જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સાથે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) હેઠળ 30 હજારથી વધુ નવા મકાનોના નિર્માણને મંજૂરી આપી અને તેના માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો.

PM મોદીએ ભુજથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે તેમણે અનેક વંદે ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી, જેમાં નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પુણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પુણેથી હુબલી અને પ્રથમ 20 કોચવાળી ટ્રેનોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, 100 દિવસના આ નિર્ણયોમાં દેશના દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક વર્ગના કલ્યાણની ખાતરી આપવામાં આવી છે. આ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ પર કામ શરૂ થઈ ગયું છે. ચૂંટણી દરમિયાન મેં દેશને 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી આપી હતી, આ ગેરંટી પર કામ ઝડપથી થઈ રહ્યું છે. ગામ હોય કે શહેર, અમે બધા માટે સારી જિંદગીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું, આજે દરેક લોકો ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. આજે મિલાદ-ઉન-નબીની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારોના સમયમાં વિકાસની ઉજવણી પણ ચાલુ રહે છે. આજે અહીં 8,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નમો રેપિડ રેલનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.