રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માંગ સાથે સુબ્રમણ્યમ સ્વામી પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, જાણો શું છે મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ ઉઠાવી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ગૃહ મંત્રાલયને રાહુલની ભારતીય નાગરિકતા રદ કરવા માટેના નિર્દેશોની માંગ કરી હતી. આ અરજી પર આવતા સપ્તાહે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. અરજીમાં સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તેમણે પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. હજુ સુધી ગૃહ મંત્રાલયે આ મુદ્દે શું નિર્ણય કે પગલાં લીધાં છે તે સ્પષ્ટ નથી કર્યું?
કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ માંગવો જોઈએ. રાહુલની નાગરિકતા અંગે માહિતી માંગતી RTI અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કોઈપણ માહિતી શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. એક વ્યક્તિએ માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલની નાગરિકતાના મામલાની માહિતી માંગી હતી. જવાબમાં મંત્રાલયે કહ્યું કે RTI એક્ટની કલમ 8(1)(h) અને (j) હેઠળ કોઈ જાહેરાત કરી શકાતી નથી. માહિતી આપવાથી તપાસ પ્રક્રિયામાં અવરોધ આવશે.
આ પહેલા અરજી ફગાવવામાં આવી હતી
વર્ષો પહેલા રાહુલની નાગરિકતા પર સવાલ ઉઠાવતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તેમાં ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતાના મામલાની તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારપછી તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે જો કોઈ કંપની રાહુલ ગાંધીને કોઈપણ સ્વરૂપમાં બ્રિટિશ નાગરિક જાહેર કરે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ બ્રિટિશ થઈ ગયા છે. આ સમગ્ર વિવાદ પર રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું હતું કે આખો દેશ જાણે છે કે રાહુલનો જન્મ ભારતમાં થયો હતો અને તે ભારતીય છે.