છેલ્લા બે દિવસથી પાટનગરમાં TAT  પાસ ઉમેદવારો આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી   ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

10 વર્ષમાં કુલ 18,382 શિક્ષકોની કાયમી ભરતી થઈ 
મંત્રી  એ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.