શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 26મી સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. બિશ્કેકમાં યોજાયેલી સમિટને સંબોધતા PM મોદીએ આતંકવાદ સામે SCOના સભ્ય દેશોને એકજૂથ થઈને કાર્યવાહી કરવાની અપીલ કરી. તેમણે આતંકવાદને માત્ર હુમલા સુધી મર્યાદિત ન રાખતા તેની પાછળની સમગ્ર વ્યવસ્થાને ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આતંકવાદ પર PM મોદીની કડક વાત
PM મોદીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ માત્ર ઘટનાના જવાબ પૂરતી સીમિત ન હોવી જોઈએ. આતંકવાદ માટે થતું ભંડોળ, ભરતી, કટ્ટરપંથીકરણ અને સુરક્ષિત આશ્રય જેવી સમગ્ર વ્યવસ્થાને તોડી પાડવી જરૂરી છે.
તેમણે SCO દેશોને આતંકવાદના મુદ્દે એક અવાજમાં બોલવાની અપીલ કરી અને સ્પષ્ટ કર્યું કે આવા ગંભીર મુદ્દે કોઈપણ પ્રકારના બેવડા ધોરણોને સ્થાન ન મળવું જોઈએ.
PM મોદીએ આતંકવાદીઓને આશ્રય કે સમર્થન આપતા દેશો સામે પણ કડક સંદેશ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી. તેમના જણાવ્યા મુજબ આતંકવાદ કોઈ દેશ માટે વ્યૂહાત્મક સાધન બની શકે નહીં.
સુરક્ષા, કનેક્ટિવિટી અને તક ભારતની પ્રાથમિકતા
SCOના આગામી 25 વર્ષ માટે ભારતની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે PM મોદીએ સુરક્ષા, કનેક્ટિવિટી અને તકનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે SCO દેશો પાસે વિશાળ ભૂગોળ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો છે. હવે આ સહિયારી શક્તિને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તેવા પરિણામોમાં બદલવાની જરૂર છે. PM મોદીએ ખાસ કરીને યુવાનો, ઉદ્યોગસાહસિકો અને ખેડૂતો સુધી વિકાસની તકો પહોંચાડવા પર ભાર મૂક્યો.
કનેક્ટિવિટી પ્રોજેક્ટમાં સાર્વભૌમત્વનું સન્માન જરૂરી
કનેક્ટિવિટી અંગે વાત કરતા PM મોદીએ કહ્યું કે વેપાર અને વિકાસને આગળ વધારતી યોજનાઓનું ભારત સ્વાગત કરે છે. જોકે, આવા પ્રોજેક્ટ્સમાં તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જરૂરી છે.
આ નિવેદનને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે. CPECનો એક ભાગ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાંથી પસાર થાય છે, જેના મુદ્દે ભારત લાંબા સમયથી પોતાનો વિરોધ વ્યક્ત કરતું આવ્યું છે.
અફઘાનિસ્તાનની શાંતિ પણ મહત્વપૂર્ણ
PM મોદીએ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાને પણ સમગ્ર યુરેશિયન ક્ષેત્રની સુરક્ષા સાથે જોડ્યું. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકો માટે વિકાસલક્ષી અને માનવતાવાદી સહાય આપતું રહ્યું છે અને આગળ પણ યોગદાન આપશે.
પશ્ચિમ એશિયાના સંઘર્ષનો વૈશ્વિક અસર પર ભાર
પશ્ચિમ એશિયાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈ એક વિસ્તારમાં થતો સંઘર્ષ માત્ર ત્યાં સુધી સીમિત રહેતો નથી.
તેની અસર ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ પડી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુદ્ધ અને તણાવનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ સંવાદ અને રાજદ્વારી દ્વારા શોધવો જોઈએ.
ડ્રગ્સ અને સંગઠિત અપરાધ સામે સહયોગની જરૂર
PM મોદીએ માદક દ્રવ્યોની હેરાફેરીને યુવાનો અને પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર પડકાર ગણાવ્યો. તેમણે SCO હેઠળ સુરક્ષા, સંગઠિત અપરાધ, માહિતી સુરક્ષા અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર બની રહેલા સહયોગી મિકેનિઝમનો અસરકારક ઉપયોગ કરવાની જરૂરિયાત દર્શાવી.
SCOમાં ભારતની પહેલોનો પણ ઉલ્લેખ
પોતાના સંબોધનમાં PM મોદીએ SCOમાં ભારત દ્વારા શરૂ કરાયેલી કેટલીક પહેલોનો ઉલ્લેખ કર્યો. તેમાં SCO Start-up Forum, Young Writers Conference અને Young Scientists Forum જેવી પહેલોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે આવી પહેલોનો હેતુ SCO દેશોના યુવાનો, ઉદ્યોગસાહસિકો, લેખકો અને વૈજ્ઞાનિકોને એકબીજા સાથે જોડવાનો છે. PM મોદીએ SCO Civilizational Dialogue Forumનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સભ્ય દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
‘વિવિધતા આપણી ઓળખ અને સહિયારો હેતુ આપણી તાકાત’
સંબોધનના અંતે PM મોદીએ કિર્ગિઝ સાહિત્યકાર ચિંગીઝ ઐતમાટોવના વિચારોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ઘણી વખત લોકો એકબીજાથી અલગ પાડતી બાબતો પર વધુ ધ્યાન આપે છે, જ્યારે તેમને જોડતી બાબતોને ઓછું મહત્વ આપે છે.
PM મોદીએ આ વિચારને SCO માટે પણ મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે સભ્ય દેશોની વિવિધતા તેમની ઓળખ છે, જ્યારે સહિયારો હેતુ તેમની તાકાત બની શકે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







