વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.તેમણે કહ્યું કે, ભારે વરસાદની આગાહી મુજબ સચેત પોર્ટલ દ્વારા સંબંધિત જિલ્લાના નાગરિકોને એસ.એમ.એસ. મારફતે આગોતરી જાણ કરાય છે. રાજ્યના જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13, એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 ડેમ છે. આ સાથે ભારે વરસાદને પગલે 45 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24*7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRF ની કુલ 10 ટીમો, SDRF ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 NDRF ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યના 209 રસ્તા અસરગ્રસ્ત
પાંડેએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના 09 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે.
359 ગામોમાં વિજપુરવઠાને અસર
ભારે વરસાદને પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામોમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા પાંડેએ રાજ્યના નાગરિકોને અપિલ કરી હતી.
અહી આગામી બે દિવસ ભારે
પાંડેએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
પાંડેએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં 301 મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં 227 મી.મી., જુનાગઢ જિલ્લામાં 176 મી.મી., વલસાડ જિલ્લામાં 195 મી.મી., જામનગર જિલ્લામાં 86 મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં 46 મી.મી., નવસારી જિલ્લામાં 41 મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
13 જળાશયો હાઇ એલર્ટ પર
રાજ્યમાં ગઈકાલે સાંજના 6 કલાક સુધીમાં સરેરાશ 328.44 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે 37.20 ટકા જેટલો થાય છે. રાજ્યના 206 જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13, એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 જળાશયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.622 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.







