મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને  આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ર૯ પ્રોજેકટ માટે રૂ. ૮૩૦ કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ ૭૮ કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ ૭૮ કરોડ રૂપિયા મળી સમગ્રતયા ૧પ૬ કરોડ રૂપિયાની જોગવાઇ ર૦ર૧-રરના વર્ષ માટે કરવામાં આવી છે.