મહેસાણાના નાગલપુર ચાર રસ્તા નજીક ચાણસ્માના કુખ્યાત ભાવેશ ઝીલીયા પર હુમલો થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પકવાન હોટેલ અને માધવી પાર્લર નજીક બનેલી આ ઘટનામાં સ્કોર્પિયો સવાર શખ્સોએ ભાવેશ ઝીલીયા અને તેના મિત્રો બેઠેલી ફોર્ચ્યુનર કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ફાયરિંગ થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ભાવેશ ઝીલીયા પોતાના મિત્રો સાથે કારમાં બેઠો હતો ત્યારે સફેદ રંગની સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ તેની કારને ટક્કર મારી હતી. હુમલાખોરોએ કારને એકથી વધુ વખત ટક્કર માર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરિંગની પણ આશંકા, ઘટનાસ્થળેથી કારતૂસ મળી આવ્યા
હુમલા દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી મિસફાયર રાઉન્ડ અને ખાલી કારતૂસ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ એક તરફથી થયું હતું કે બંને તરફથી, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા B ડિવિઝન પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધ
પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. સ્કોર્પિયોમાં આવેલા હુમલાખોરોની ઓળખ કરવા માટે પોલીસ ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલાખોરો કઈ દિશામાં ફરાર થયા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ભાવેશ ઝીલીયા અગાઉ પણ રહ્યો છે વિવાદોમાં
ભાવેશ ઝીલીયા અગાઉ પણ અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. તેની સામે અગાઉ 20થી વધુ ગુના નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. હત્યાના પ્રયાસ અને ખંડણી સહિતના ગુનાઓમાં તે જેલમાં પણ જઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
માર્ચ 2026માં મંદિર વિવાદને લઈને થઈ હતી અથડામણ
માર્ચ 2026માં ઝીલીયા ગામમાં મંદિરના વિવાદને લઈને અથડામણનો બનાવ સામે આવ્યો હતો. આ દરમિયાન પણ ભાવેશ ઝીલીયાનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગૌચર જમીન પર કથિત રીતે આલીશાન ફાર્મહાઉસ બનાવવાના મામલે પણ તે અગાઉ વિવાદમાં રહ્યો હોવાનું સામે આવ્યું છે.
હુમલા પાછળનું કારણ શું? પોલીસ તપાસમાં લાગી
હાલ ભાવેશ ઝીલીયા પર થયેલા હુમલા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જૂની અદાવત, કોઈ અંગત વિવાદ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નાગલપુર ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે CCTV ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે પોલીસ હુમલાખોરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







