કર્ણાટક લોકાયુક્તે આજે સવારે રાજ્યભરમાં અનેક સરકારી અધિકારીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, લોકાયુક્તે અપ્રમાણસર સંપત્તિના આરોપો અને ફરિયાદો સાથે જોડાયેલા મામલાઓ પર દરોડા પાડ્યા છે. દાવંગેરે અને ચિત્રદુર્ગાના બે કેસ સહિત કુલ 9 જિલ્લામાં 11 કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે EDએ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર પણ દરોડા પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાઓના એસપી લોકાયુક્ત કેસ પર નજર રાખી રહ્યા છે. 56 જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 100 અધિકારીઓ સામેલ હતા.
દરોડા ક્યાં પડ્યા?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતાઓના સંબંધમાં કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન બી નાગેન્દ્ર અને કોંગ્રેસના ધારાસભ્ય બી દદ્દલના નિવાસસ્થાન પર 24 કલાકથી વધુ સમય માટે દરોડા પાડ્યા હતા. કોર્પોરેશનના બેંક ખાતામાંથી રૂ. 187 કરોડની કથિત અનધિકૃત ગેરરીતિઓની તપાસના ભાગરૂપે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 18 થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
જોકે EDના અધિકારીઓએ અડધી રાત્રે સર્ચ અટકાવી દીધું હતું, પરંતુ ટીમો દરોડાના સ્થળે જ રહી હતી. ગુરુવારે સવારે 7 વાગ્યે ફરી તપાસ શરૂ થઈ.
મેમાં રાજીનામું આપતા પહેલા નાગેન્દ્ર કર્ણાટકના આદિવાસી કલ્યાણ મંત્રી હતા, જ્યારે દદ્દલ કોર્પોરેશનના અધ્યક્ષ હતા. આ વર્ષે 21 મેના રોજ કોર્પોરેશન એકાઉન્ટ્સ સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રશેખરન પીના મૃત્યુ પછી કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. પોતાની સુસાઈડ નોટમાં અધિકારીએ કોર્પોરેશન પર ગેરકાયદેસર રીતે વિવિધ બેંક ખાતાઓમાં ફંડ ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનાના આક્રોશ અને વિપક્ષની ટીકા વચ્ચે, બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને નાગેન્દ્રએ મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. કર્ણાટક સરકારે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરી છે. બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની સરકાર EDની તપાસમાં દખલ નહીં કરે.
જોકે, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે EDના દરોડા ગેરવાજબી હતા. શિવકુમારે કહ્યું, “જ્યારે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી SIT પહેલેથી જ કેસની તપાસ કરી રહી છે, ત્યારે EDએ આ કેસમાં દરોડા પાડવાની કોઈ જરૂર નહોતી.” તેમણે કહ્યું કે અગાઉની ભાજપ સરકાર દરમિયાન પણ આવા કિસ્સા બન્યા હતા.