અમદાવાદઃ આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભ્રુણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુન્હો છે. ગુજરાતમાં 1000 પુરુષે 919 મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ છે. પણ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે. આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલા છે. તો વિચારો કે ગેરકાયદેસર ગર્ભપાતના આંકડા કેટલા ચોંકાવનારા અને મોટા હશે.
ગર્ભપાતના વધતા આંક ચિંતાનો વિષય
પ્રગતિશીલ વિચાર અને માનવીય અભિગમ ધરાવતા ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત(Abortion)નાં કિસ્સાઓ જયારે બીજી બાજુ ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોકાવનારા હશે? તે અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, સ્ત્રીઓનાં જીવનમાં સગર્ભાવસ્થા એ ખૂબ ખાસ અને કુદરતનાં આશીર્વાદ સમાન સ્થિતિ હોય છે. ગર્ભવતી મહિલા જીવનમાં અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ ગર્ભપાત(Abortion) વિશે વિચારે છે. ગર્ભપાત કરવા ‘મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ’ છે જેમાં ચોક્કસ કારણોસર ગર્ભપાત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યસભામાં દ્વારા આપવામાં આવેલ ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ 2021-22માં સમગ્ર દેશમાં 13,65,096 જેટલી મહિલાઓનું ગર્ભપાત(Abortion) થયું છે. જે ચિંતાનો વિષય છે.
પાંચ વર્ષમાં અધધ મહિલાઓનો ગર્ભપાત…!
ગુજરાતમાં વર્ષ 2021-22માં જ 30,187 મહિલાઓનું ગર્ભપાત કરવામાં આવ્યું છે. રાજ્યમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે. આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ 2016-17માં 28,204, વર્ષ 2017-18માં 42,391, વર્ષ 2018-19માં 41,883, વર્ષ 2019-20માં 28,660 અને વર્ષ 2021-22માં 30,187 જેટલી મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યો છે.
સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશું?
નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ 2022-23માં 811 કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં 8051.63 કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે. શું માત્ર જાહેરાતોમાં જ માતૃ વંદના, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશું? સામાજિક જાગૃતિ અને સલામત માતૃત્વ માટે રાજ્ય સરકાર માત્ર પરિપત્રો કરીને વાહવાહી લુંટશે કે કોઈ નક્કર કામગીરી કરાશે તે યક્ષ પ્રશ્ન છે.
ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત (Abortion) અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાત(Abortion)ના કિસ્સા અટકાવા માટે જનજાગૃતિ – સામાજિક જાગૃતિ માટે અસરકાર જાગૃતિ કાર્યકમ દ્વારા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.







