લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હવે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારના જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે પહેલા 7 ઉમેદવારની જાહેરાત કરી હતી ત્યાર બાદ આજે 11 ઉમેદવારોનામ જાહેર કર્યા છે. પરંતુ રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે. જેનું કારણ છે પરેશ ધાનાણી.

રાજકોટમાં ભાજપે પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન કોંગ્રેસમાં પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક માટે ચર્ચામાં છે. પરંતુ પરેશ ધાનાણીનું કહેવું છે કે, હું અણવર બનવા તૈયાર છું મુરતિયો હું નહીં બનું. અમરેલી બેઠક માટે પણ પરેશ ધાનાણીએ આ કહ્યું હતું અને રાજકોટ માટે પણ આ કહ્યું છે. પરંતુ હાઇકમાન્ડની ઈચ્છા તો કઈક અલગ જ છે. તેમને પરેશ ધાનાણીને જ ઉમેદવાર બનાવવા છે.

વાત જાણે એમ છે કે વર્ષ 2002માં પરેશ ધાનાણી અમરેલીના ચૂંટણી મેદાને હતા અને સામે હતા પરશોત્તમ રૂપાલા. અને થયું એવું કે કોઈ એ વિચાર્યું પણ ન હોય. 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતાં.

હવે ફરી એક વખત આ બંને ઉમેદવારો વચ્ચે જંગ જામે તેવા સમીકરણો તૈયાર થઈ ચૂક્યા છે.  રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાય શકે છે. પરેશ ધાનાણીએ લેઉવા પાટીદાર છે.

રાજકોટ એ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને અહીં રૂપાલા ભારે પડી શકે છે. ભાજની આ સેફ સીટ માનવામાં આવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને કોંગ્રેસની રણનીતિ ભાજપ પર હાવી થાય છે કે પછી ભાજપ પોતાના વિજયરથને અટકાવવા નહીં દે.