કોરોના કાળમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા આજરોજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી વિનંતી કરી હતી.પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના કારણે માર્ચ-ર૦ર૦થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્‍યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ (CBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્‍યાનમાં રાખી અને કોરોનાના વધતા જતા કેસ તથા મૃત્‍યુ આંકને ધ્‍યાને લઈ સીબીએસઈના ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા રદ્દ કરવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનની જાહેરાત કરી છે, જ્‍યારે બીજી તરફ ધોરણ-૧૦ અને ધોરણ-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્‍યું છે, જેના કારણે ગુજરાતમાં ધોરણ-૧૦ના ૩.૮૦ લાખ અને ધોરણ-૧રના ૧.૧૦ લાખ મળીને કુલ ૪.૯૦ લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓમાં વ્‍યાપક ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર રેગ્‍યુલર વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરે છે તેવી જાહેરાતો કરી વાહવાહી લઈ રહી છે, તો રીપીટર વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કોણ કરશે ? શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી ? શું રેગ્‍યુલર વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્‍તિ નબળી ગણવામાં આવે છે ? શું રીપીટર્સ વિદ્યાર્થીઓ રીઢા ગુનેગાર છે ? શું રીપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના બાળકો નથી ? શું રાજ્‍ય સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને સમાન ધોરણે કોરોના સંક્રમણથી બચાવે ? એવા વેધક પ્રશ્નો ધાનાણીએ માન. મુખ્‍યમંત્રીશ્રીને કર્યા હતા.રાજ્‍ય સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના રીપીટર વિદ્યાર્થીઓની લેવાનાર પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓ ખૂબ ચિંતીત છે ત્‍યારે આ વિદ્યાર્થીઓના હિતમાં સરકારશ્રી કક્ષાએથી સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી, યોગ્‍ય નિર્ણય કરી, કોરોના કાળમાં અન્‍ય વિદ્યાર્થીઓની જેમ તેઓને પણ પરીક્ષામાંથી મુક્‍તિ આપવા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મુખ્‍યમંત્રીશ્રીને વિનંતી કરી હતી.