મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે.એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે  31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

આ  8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે,રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31  જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે , આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.